ફતેપુરાની ધ્રુવીબેન પ્રજાપતિએ ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં શાનદાર સફળતા મેળવી છે. દાહોદ જિલ્લાના ફતેપુરા સ્થિત કોમલ વિદ્યાલયની આ વિદ્યાર્થીનીએ 600માંથી 551 ગુણ મેળવી 96.94 પર્સેન્ટાઈલ રેન્ક (PR) સાથે A1 ગ્રેડ હાંસલ કર્યો છે. આ સિદ્ધિથી તેણે પ્રજાપતિ સમાજ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.
પરિણામ જાહેર થતાં જ ધ્રુવીબેનના પરિવાર, શાળા અને સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આ સિદ્ધિ બદલ પરિવારજનોએ મીઠાઈ વહેંચી અને ફટાકડા ફોડીને આનંદભેર ઉજવણી કરી હતી, જેનાથી ઘરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
ધ્રુવીબેનની આ સફળતા પાછળ તેની સતત મહેનત, આત્મવિશ્વાસ અને પરિવારનો અતૂટ સહયોગ રહ્યો છે. તેના પિતા વિનોદભાઈ પ્રજાપતિ અને માતા ગાયત્રીબેન પ્રજાપતિએ દીકરીના અભ્યાસ માટે હંમેશા પ્રોત્સાહન અને હકારાત્મક વાતાવરણ પૂરું પાડ્યું હતું. સાથે દાદા- દાદીના આશીર્વાદ અને માર્ગદર્શન પણ તેની સફળતામાં મહત્વપૂર્ણ સાબિત થયા છે.
ધ્રુવીબેને પોતાની સફળતા અંગે જણાવ્યું હતું કે તેનું સપનું ભવિષ્યમાં MBBS ડોક્ટર બની સમાજ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનું છે. ફતેપુરા જેવા સરહદી વિસ્તારની વિદ્યાર્થીનીએ મેળવેલી આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.
આ પરિણામ સાબિત કરે છે કે મક્કમ ઈચ્છાશક્તિ, યોગ્ય માર્ગદર્શન અને સતત મહેનત દ્વારા કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.