



- દાહોદમાં લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવા માટે આરોગ્ય વિભાગે ૨૬૧૩ ટીમોના ધાડા ઉતાર્યા
- નાગરિકોને કોરોનાથી બચાવવા માટે પ્રતિદિન ત્રણ લાખથી વધુ લોકોના આરોગ્યની કરાતી તપાસ
- આરોગ્ય વિભાગ દ્વારા નવતર પ્રયોગ, દવાઓની ખાસ કિટ બનાવી દર્દીઓને અપાઇ રહી છે
- કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ૫૧૧, પિન્ક સ્પોટમાં ૨૨૦ તથા અંબર એરિયામાં ૫૪ ટીમ કામ કરી રહી છે
દાહોદમાં પ્રસરી રહેલા કોરોના વાયરસ સંક્રમણને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા બનાવવામાં આવેલી ૨૬૧૩ ટીમો દ્વારા પ્રતિદિન ૩ લાખથી પણ વધુ લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. સર્વે, ટેસ્ટ અને આઇસોલેટની રણનીતિ લઇ આરોગ્ય વિભાગે કોરોના વાયરસ સામે મોરચો માંડ્યો છે. તેમાં કેટલાક નવતર અભિગમ પણ અપનાવવામાં આવ્યા છે. સર્વેની સાથે જરૂર લાગે તેવા દર્દીઓને માટે એક દવાની કિટ્સ પણ આપવામાં આવી રહી છે.
સર્વે અંગેની માહિતી આપતા આરોગ્ય વિભાગના ડો. રાકેશ વહોનિયાએ જણાવ્યું કે, દાહોદમાં આરોગ્ય વિભાગ દ્વારા ૨૬૧૩ જેટલી જુદી જુદી ટીમો ફિલ્ડમાં કામગીરી કરી રહી છે. આ ટીમો દ્વારા પ્રતિદિન ત્રણ લાખથી પણ વધુ લોકોના આરોગ્યની તપાસણી થાય છે. ગઇ કાલના જ આંકડા ઉપર દ્રષ્ટિપાત કરીએ તો તા. ૨૩ના રોજ સમગ્ર દાહોદ જિલ્લામાં ૩૯૯૬૫૩ લોકોની તપાસ કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લામાં ૧૩૩૯ ટીમ ઘરે ઘરે જઇને આરોગ્ય તપાસણી કરી રહી છે. ગઇ કાલે ૨.૫૭ લાખ નાગરિકોની ઘરે જઇને તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ૫૧૧, પિન્ક સ્પોટમાં ૨૨૦ તથા અંબર એરિયામાં ૫૪ ટીમ કામ કરી રહી છે. શરદી, ઉઘરસ કે તાવના લક્ષણો ધરાવતા દર્દીઓની સ્થળ ઉપર જ તપાસ કરવામાં આવે છે. ગઇ કાલે શરદી કે ઉધરસ ધરાવતા ૧૭૦૦ જેટલા દર્દીઓ મળી આવ્યા હતા. જે ઋતુને ધ્યાને લેતા સામાન્ય જણાયા હતા.
દાહોદ આરોગ્ય તંત્ર દ્વારા એક વિશેષ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હોમ આઇસોલેશનમાં રહેલા કે શરદી ઉધરસ ધરાવતા દર્દીઓને દવાની એક કિટ આપવામાં આવે છે. જેમાં એઝીથ્રોમાઇસીન, ઝીન્ક, વિટામીન-સી સહિતની ગોળીઓ હોય છે. તેના ઉપર આ દવાઓ કેવી રીતે લેવી? એની સૂચના અને કેવી તકેદારી રાખવી ? એની માર્ગદર્શિકા લગાવેલી હોય છે. આવી કિટ્સ છેલ્લા બે દિવસથી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૮૧૭ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.
દાહોદ જિલ્લામાં આવેલી આંતરરાજ્ય બોર્ડર ઉપર ૧૭ સ્થળોએ આરોગ્યની ટીમો કાર્યરત છે. આ ટીમો દ્વારા પ્રતિદિન સરેરાશ બે હજાર જેટલા લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે, જિલ્લામાં ફરી રહેલા ૫૫ ધન્વંતરિ રથો દ્વારા પ્રતિદિન પાંચથી છ હજાર લોકોની તપાસ કરાઇ રહી છે.
છેલ્લા ૧૪ માસથી આરોગ્ય તંત્ર કોરોનાને રોકવા માટે દિનરાત મહેનત કરી રહ્યો છે. ત્યારેઆપણા સૌની જવાબદારી બને છે તે લોકોને બચાવવા માટે કોવીડ એપ્રોપ્રિએટ બિહેવિયર કરીએ અને કોરોનાના લક્ષણો જણાઇ તો તુરંત ટેસ્ટ કરાવી લઇએ.