એક તરફ દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે ને બીજી બાજુ ગુજરાત એપેલેટ ઓથોરિટીએ મહત્વનો ચુકાદો આપ્યો છે. એટલે કે હવેથી હોટેલ અને રેસ્ટોરન્ટમાં પરાઠા પર 18% GST લાગશે. પરાઠા વેપારીઓની GAAARના હુકમને પડકારતી અરજી ગુજરાત એપેલેટ ઓથોરિટીએ ફગાવી દીધી છે.
જો તમારે પરાઠા ખાવા હોય તો હવે તેની પર તમારે 18 ટકા GST ચૂકવવો પડશે. જ્યારે રોટલી ખાવી હોય તો 5 ટકા GST રહેશે. ભૂતકાળમાં પણ રોટલી-પરાઠા પરના GSTને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. ત્યારે આ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓનું કહેવું છે કે, બંને બનાવવા માટેની મૂળભૂત સામગ્રી ઘઉંનો લોટ જ છે, આથી તેની પર સમાન જીએસટી લાગુ થવો જોઈએ. આ અંગે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝે પણ જણાવ્યું હતું કે, તેઓ 8 પ્રકારના પરાઠા બનાવે છે. જેમાં મુખ્યત્વે લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે. માલાબાર પરાઠામાં લોટનું પ્રમાણ 62 ટકા અને મિશ્ર શાકભાજીના પરાઠામાં 36 ટકા હોય છે.
GAAARનું કહેવું છે કે, પરાઠાઓ એ સાદી રોટલી નથી. આથી પરાઠા પર 18% GST લાગશે. પરાઠા પ્લેન રોટી કે સાદી રોટીથી અલગ છે. પરાઠાને પ્લેન રોટીમાં વર્ગીકૃત ન કરી શકાય. પરાઠા અને રોટલીની સરખામણી ન કરી શકાય.’ મહત્વનું છે કે, પરાઠા પર 18% GSTને લઈને અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. અરજદારે પરાઠાને રોટલી સમાન ગણાવી ઓછાં GST દરની માંગ કરી હતી.
તમને જણાવી દઇએ કે, યુનિફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સિસ્ટમને આ વર્ષે જુલાઈમાં દેશમાં પાંચ વર્ષ પૂર્ણ થઇ ગયા છે, પરંતુ તેની ગૂંચવણો હજુ ખતમ થવાનું નામ નથી લઈ રહી. GSTના અમલીકરણ અને નોટિફિકેશનને લઈને સતત વિવાદો સામે આવતા રહે છે. ત્યારે રોટલી અને પરાઠા પરના અલગ-અલગ GST દરમાં પણ કંઇક આવું જ છે.
પરંતુ ગુજરાત જીએસટી ઓથોરિટીએ કહ્યું કે, રોટલી રેડી ટુ ઇટ છે, જ્યારે પરાઠા રેડી ટુ કૂક છે. ટેક્સ સત્તાવાળાઓ સ્પષ્ટપણે કહે છે કે પરાઠા રોટલીથી સંપૂર્ણપણે અલગ છે. તમે માખણ કે ઘી લગાવ્યા વિના રોટલી ખાઈ શકો છો, પરંતુ તેની વગર પરાઠા નથી બનતા. કારણ કે ઘી ચોપડેલી રોટલી કે પરાઠા એક રીતે અલગ કેટેગરીમાં આવે છે, આથી તેની પર 18 ટકાના દરે ટેક્સ વસૂલવો હિતાવહ છે.